મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના ર૦રર-ર૩ નો પ્રારંભ કરાવ્યો* *રૂ. ૩૦ કરોડથી વધુની સહાય અપાશે*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના ર૦રર-ર૩ નો પ્રારંભ કરાવ્યો* 
*રૂ. ૩૦ કરોડથી વધુની સહાય અપાશે* 
......
*અત્યાર સુધી ૧૧ લાખ ૬૭ હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને કૃષિ કલ્યાણની આવી યોજનાનો લાભ મળ્યો* 
......
*આ વર્ષથી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં યોજનાના ઓનલાઇન અમલીકરણની નવતર પહેલ*- 
*અરજી કર્યાથી લઇને મંજૂરી સુધીની પ્રક્રિયા પારદર્શી ઢબે ઓનલાઇન થશે*
......
*રાજ્યના આદિજાતિ બાળકોની શિક્ષણ સુવિધા માટે ૧૪૩ આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે કુલ ૮૩.૯૬ કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપતાં શ્રી ભૂપેન્દ્ર પટેલ* 
......
-ઃ *મુખ્યમંત્રીશ્રી* :- 

 *કૃષિ વૈવિધ્યકરણ યોજના નાના-સિમાંત આદિવાસી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશાનું મોટું પગલું છે* 
 *આદિવાસી બાંધવોને ખેતી દ્વારા થતી આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ* 
.....
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે*. 
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આ ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. 
કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના ૭પ હજાર જેટલા આદિજાતિ ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે. 
દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓના અંદાજે ૪૮૦૦૦ લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કિટ વિતરણ કરાશે.
  રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૨થી અમલમાં આવેલી આ કૃષિ વૈવિધ્યકરણની આ યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. 

તદઅનુસાર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપૂર અને નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ એમ ૧૪ આદિજાતિ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ અપાય છે. અત્યાર સુધીમાં આવા ૧૧.૬૯ લાખ ખેડૂતોને  યોજનાકીય લાભ અપાયો છે. 
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા આવેલા આદિવાસી બંધુઓને ખેતીમાંથી થતી આવક વધારવા આ કૃષિ વૈવિધ્યકરણ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં શરૂ કરવામાં આવેલી છે. 
વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનો  મંત્ર આપ્યો છે ત્યારે આવા નાના-સિમાંત આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ સહાય આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવાની દિશાનું મોટું કદમ છે, એમ તેમણે ઉમેર્યુ હતું. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ વર્ષથી ઓનલાઇન પોર્ટલ પર આદિજાતિ લાભાર્થી ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે.
  આદિજાતિ ખેડૂતોને હવે કચેરી સુધી અરજી માટે જવું ના પડે તેમજ ઘરે બેઠા પોતાની અરજીની વિગતો જાણી શકે તેવી આ પારદર્શી પદ્ધતિમાં રજીસ્ટ્રેશનથી લઇને લાભ મંજૂરી સુધી સમગ્ર બાબતો ઓનલાઇન કરવામાં આવી છે. 
વડાપ્રધાનશ્રીએ યોજનાકીય લાભ સીધો જ લાભાર્થીના હાથમાં પહોચાડવાની જે પ્રણાલિ શરૂ કરી છે તેમાં આ ઓનલાઇન પધ્ધતિ ઉપકારક છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ ડાંગ જિલ્લો સંપૂર્ણ પણે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે તેનો ઉલ્લેખ કરતાં કૃષિ વૈવિધ્યકરણ સાથે સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ આદિજાતિ ખેડૂતોને આહવાન કર્યુ હતું. 
મુખ્યમંત્રીશ્રીએ આ સાથે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૪૩ આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે રૂ. ૮૩.૯૬ કરોડનું પ્રોત્સાહક અનુદાન પણ એટ સિંગલ કલીક અર્પણ કર્યુ હતું. 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના બાળકોને શિક્ષણની સુવિધા આપવા રાજ્ય સરકારે આવી આશ્રમ શાળાઓ શરૂ કરેલી છે. 
આદિજાતિ વિભાગ હેઠળની રાજ્યભરની ૬૬૧ જેટલી આશ્રમ શાળાઓમાં અંદાજે ૯૧ હજારથી વધુ આદિજાતિ બાળકોને રહેવા, જમવાની સગવડ સાથે ધોરણ ૧ થી ૧ર નું શિક્ષણ વિનામૂલ્યે અપાય છે. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારમાં ખેતીનો વ્યાપ વધે સાથોસાથ આદિજાતિ બાળકોને શિક્ષણની પણ સુવિધા આપી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરકારની પ્રતિબદ્ધતા આ પ્રસંગે વ્યકત કરી હતી. 
તેમણે આદિજાતિ જિલ્લા સાબરકાંઠાના આદિજાતિ લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. ખેડૂત લાભાર્થીઓએ આ યોજનાથી મળતી સહાય દ્વારા અનાજ ઉત્પાદન અને વેચાણથી મોટો આર્થિક આધાર મળ્યો છે તેનો આનંદ વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો અને યોજનાથી થયેલા લાભની વિગતો વર્ણવી હતી. 
  રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને આદિજાતિ લાભાર્થી ખેડૂતો ૧૪ જિલ્લાના વિવિધ સ્થળોએથી આ અવસરે જોડાયા હતા. 
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, આદિજાતિ વિકાસ સચિવ ડૉ. શ્રી મુરલીક્રિષ્ના, ડી.સેગ ના સી.ઈ.ઓ નિનામા સહિતના  અધિકારીઓ ગાંધીનગરથી આ અવસરે જોડાયા હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું